ખજૂરાહો કાંડના કારણે કેશુબાપાને મુખ્યમંત્રી પદેથી હટાવાયા હતા

ખજૂરાહો કાંડના કારણે કેશુબાપાને મુખ્યમંત્રી પદેથી હટાવાયા હતા


અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

વર્ષ 1995માં થયેલા ઐતિહાસિક ખજૂરાહો કાંડના કારણે કેશુભાઇ પટેલનો મુખ્યમંત્રી તરીકેનો પ્રથમ કાર્યકાળ અકાળે સમાપ્ત થયો હતો. કેશુભાઇથી નારાજ શંકરસિંહ વાઘેલાએ 45 ધારાસભ્યોને ખજૂરાહો લઇ જઇ ભાજપની સરકાર તોડી પાડવાની તૈયાર કરતા ભાજપ હાઇકમાન્ડે શંકરસિંહ સાથેના સમાધાનના ભાગરૂપે કેશુભાઇને મુખ્યમંત્રી પદેથી હટાવાયા હતા.

માર્ચ-1995માં વિધાનસભા ચૂંટણી બાદ સપ્ટેમ્બરમાં કેશુબાપાએ બોર્ડ અને નિગમોમાં સ્વતંત્ર રીતે કરેલી નિમણૂકોના કારણે શંકરસિંહ વાઘેલા તેમનાથી નારાજ હતા, કારણ કે આ નિમણૂકોમાં કેશુભાઇ, નરેન્દ્ર મોદી અને આનંદીબહેન પટેલના નજીકના નેતાઓને નિમણૂક મળી હતી અને શંકરસિંહના નજીકના નેતાઓને ઇચ્છનીય પદો મળ્યા નહોતા. સપ્ટેમ્બરના અંતમાં રોકાણકારોને ગુજરાતમાં રોકાણ કરવાની વાટાઘાટો માટે કેશુબાપા અમેરિકા ગયા હતા તે સમયે શઁકરસિંહે ભાજપમાં બળવો કર્યો અને 45 અસંતુષ્ટ ધારાસભ્યોને પોતાના વિશ્વાસમાં લીધા.

જો કે તેમને અસંતુષ્ટ ધારાસભ્યોને ગુજરાતમાં રાખવાનું સલામત ન લાગતા શંકરસિંહે આ ધારાસભ્યોને તાત્કાલિક મધ્યપ્રદેશને ખજૂરાહો મોકલ્યા હતા. તત્કાલિન રાજ્યપાલ નરેશ ચંદ્રએ કેશુભાઇને બહુમતી સાબિત કરવાનું અલ્ટિમેટમ આપી દીધું હતું. તે સમયે અટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદી અને ઉમા ભારતી સિહિતના ભાજપના જાણીતા નેતાઓ ભાજપની સરકારને બચાવવા મેદાનમાં ઉતર્યા હતા. ઉમા ભારતી તે સમયે ખજૂરાહોના સાંસદ હતા.

અસંતુષ્ટ ધારાસભ્યોને મળ્યા હતા અને વાજપેયી ગાંધીનગરમાં શંકરસિંહને મળ્યા હતા. જેમાં ત્રણ શરત પર શંકરસિંહ સમાધાન કર્યુ હતું. તેમના સમર્થક ધારાસભ્યોમાંથી છને મંત્રીપદ આપવામાં આવે, કેશુભાઇને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવે અને નરેન્દ્ર મોદીને ગુજરાના રાજકારણમાંથી હટાવી કેન્દ્રમાં મોકલવામાં આવે. ત્યારબાદ મોદીને હિમાચલ અને હરિયાણાનો પ્રભાર આપવામાં આવ્યો હતો. આમ આ ઘટના બાદ કેશુબાપાના સમર્થકો હજુરિયા કહેવાયા અને શંકરસિંહના સમર્થકો ખજુરિયા કહેવાયા,

પત્ની, પાંચ પુત્ર-એક દિકરી પત્ની અને બે પુત્રના મૃત્યુનો આઘાત

92 વર્ષીય કેશુભાઈ પટેલે રાજકીય ઉતાર ચડાવ સાથે પરિવારમાં પણ ઉતાર ચડાવ જોયો છે અને તેમની હયાતીમાં જ તેઓએ પત્ની અને બે પુત્રના મૃત્યુનો આઘાત પણ ઝીલ્યો છે. પરિવારમાં  પત્ની તથા એક દિકરી અને પાંચ  દિકરામાંથી  પત્ની લીલા બહેન પટેલનું 2006માં  ગાંધીનગર સ્થિત તેમના  ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં  શોર્ટ સર્કિટ થતા મૃત્યુ થયુ હતું.

સંતાનોમાં   એક દિકરી સોનલ દેસાઈ અને પુત્રોમાં જગદીશ પટેલ, પ્રવિણ પટેલ, ભરત પટેલ, મહેશ પટેલ તથા અશોક પટેલમાંથી વર્ષ 2017માં  સપ્ટેમ્બર મહિનામાં 60 વર્ષીય પુત્ર પ્રવિણ પટેલનું અમેરિકામાં  હાર્ટ એટેકથી મૃત્યુ થયુ હતું. ત્યારબાદ સૌથી મોટા પુત્ર જગદીશ પટેલનું પણ 2018માં  હાર્ટ એટેકથી મૃત્યુ થયુ હતું.કેશુભાઈના પુત્ર ભરત પટેલ પણ 2013માં ભાજપમાં જોડાયા હતા.

સાઈડલાઈન થતા કેશુબાપાએ અલગ પાર્ટી પણ રચી હતી

ગુજરાતમાં 2002 બાદ રાજકીય સ્થિતિ આંતરિક રીતે બદલાઈ રહી હતી અને ધીરેધીરે કેશુબાપા સાઈડલાઈન થઈ રહ્યા હતા. 2007ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ પરિવર્તન માટે મત કરવા લોકોને હાંકલ કરી હતી પરંતુ તેઓએ વોટિંગ કર્યુ ન હતું. બીજી બાજુ મોદીના નેતૃત્વમાં ભાજપે ગુજરાતમાં બહુમતી મેળવી અને ફરી ભાજપની સરકાર બની હતી.

જ્યારે કેશુભાઈ પટેલે ભાજપમાં તેમની મેમ્બરશિપ રીન્યુ ન કરાવી અને ઓગસ્ટ 2012માં ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.  ડિસેમ્બર 2012ની વિધાનસભાની ચૂંટણીને લઈને કેશુભાઈએ  ગુજરાત પરિવર્તન પાર્ટી પણ રચી અને ચૂંટણી લડયા. વિસાવદર બેઠકમાં તેઓ ભાજપના ઉમેદવાર સામે ચૂંટણી જીત્યા પણ હતા અને તેઓની પાર્ટી જીપીપીએ બે સીટ મેળવી હતી. 

જો કે આંતરિક વિગ્રહ અને કેશુભાઈ-ભાજપ ગજગ્રાહ બહુ લાંબો ન ચાલ્યો અને 2014માં જાન્યુઆરીમાં તેઓએ જીપીપી પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યુ અને બીજા જ મહિને ફેબુ્રઆરીમાં નાદુરસ્ત તબીયતને લઈને ધારાસભ્ય પદેથી પણ રાજીનામુ આપી દીધુ હતુ.થોડા દિવસ બાદ જ ફેબુ્રઆરી 2014માં જીપીપી ભાજપ સાથે મર્જ થઈ ગઈ હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3e7bCwO

0 Response to "ખજૂરાહો કાંડના કારણે કેશુબાપાને મુખ્યમંત્રી પદેથી હટાવાયા હતા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel