કચરાના ઢગલા પર રહેતા 500 શ્રમિક પરિવારના બાળકોએ ઘણીવાર ભૂખ્યા જ સૂવું પડે છે

કચરાના ઢગલા પર રહેતા 500 શ્રમિક પરિવારના બાળકોએ ઘણીવાર ભૂખ્યા જ સૂવું પડે છે

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર

સુરતના બમરોલી વિસ્તારની ડમ્પિંગ સાઇટ નજીક કચરાના ઢગલા પર રહેતા ૫૦૦ મજૂરોની પરિસ્થિતિ એવી દયનીય છે કે એક ટંકનું જમવાનું પણ માંડ માંડ મળી રહે છે. જેથી અહીંના બાળકો ભૂખ્યા ન સુઈ જાય એ માટે સુરતના યુવાઓનું ગ્રુપ અઠવાડિયામાં 3 થી 4 વખત ફૂડ કીટનું વિતરણ કરે છે.

આજે 16 ઓક્ટોબર એટલે કે વર્લ્ડ ફુડ ડે છે અને સુરતમાં એક એવો વર્ગ છે જેણે ઘણીવાર ભૂખ્યા સુવાની નોબત આવે છે . સુરતના બમરોલી વિસ્તારમાં મીઠી ખાડી નજીક આવેલી ડમ્પિંગ સાઇટની સામે પણ કચરાના ઢગલા પર રોજ કમાઈને રોજ ખાનારા 500 જેટલા શ્રમિકો વસવાટ કરે છે. જેમના બાળકોએ ભૂખ્યા સૂવું પડે છે. કોરોના કાળમાં દરેક વર્ગની પરિસ્થિતિ કથળી છે પરંતુ કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા આ મજૂર વર્ગની પરિસ્થિતિ એટલી બધી બગડી હતી કે બે સમય જમવાનું પણ તેમને નસીબ થતું નથી. અનલોક બાદ પણ આ પરિવારો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. કામ ન હોવાથી પરિવારનું ગુજરાન ચલાવું લગભગ અશક્ય થઈ ચૂક્યું છે. જેથી અહીંના બાળકો ભૂખ્યા ન સુઈ જાય એ માટે સુરતના યુવાઓના ગ્રુપે અઠવાડિયામાં 3 થી 4 વખત ફૂડ કીટનું વિતરણ શરૂ કર્યું છે .

કીટમાં ચણા, બિસ્કિટ, પાણીની બોટલ, પ્રોટીન શેક, વેફર તેમજ ગરમ ગરમ ભાત, દાળ, શાક,રોટલી વગેરે પણ આપવામાં આવે છે. જેથી તેઓને કુપોષણનો શિકાર થતા બચાવી શકાય. કોરોનાની મહામારીને પગલે આ પરિવારોને માસ્કનું વિતરણ કરી કોરોના અંગે સમજ પણ અપાય છે. આશ્ચર્યની વાત એ છે કે, સુરતમાં અનેક સામાજિક સંસ્થાઓ છે પણ આ શ્રમિક પરિવારો ઉપર કોઈની નજર પડી નથી.

સરકારે સૌથી પહેલા આ શ્રમિકોની રહેવાની જગ્યા બદલવી જોઈએ : નિખિલ બજાજ

યુવાનોના ગ્રુપના નિખિલ બજાજે કહ્યું કે, જન્મદિવસની ઉજાણી, મરણોત્તર વિધિનું જમવાનું તેમજ બહારથી કોઈ ગ્રુપ દ્વારા જે કંઈ આપવામાં આવે છે તેના પર આ વર્ગ ગુજારો કરે છે. અમારી સરકારને એટલી જ અપીલ છે કે તેમની રહેવાની જગ્યા બદલવામાં આવે તેમજ તેઓને કામ આપવામાં આવે જેથી આ વર્ગની સ્થિતિ સુધારી શકાય. યુવાનોના ગ્રુપે આજે શ્રમિક વર્ગ ઉપરાંત બેન્ડ વગાડીને ગુજારો ચલાવતા પરિવારોને 500 કીટનું વિતરણ કર્યું હતું.

કોઈકવાર જમવાનું મળતું નથી, લાઈટ-પાણી નથી એટલે ખાડીના પાણીનો ઉપયોગ કરીએ છીએ : સુમનબેન

25 વર્ષથી અહીં રહેતા સુમનબેને કહ્યું કે, જમવાનું કોઈક વાર મળે છે તો કોઈક વાર મળતું નથી. લાઈટ અને પાણીની પણ તકલીફ છે. મજબૂરીએ દુર્ગંધયુક્ત ખાડીના પાણીનો ઉપયોગ કરવો પડે છે. લોકોના જમવાનામાં બે વાર નું જમવાનું તો હોય જ છે પરંતુ અહીં અમારા લોકો ની પરિસ્થિતિ એવી છે કે એક વાર પણ ખાવાનું માંડ માંડ મળી રહે છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37iS7A3

0 Response to "કચરાના ઢગલા પર રહેતા 500 શ્રમિક પરિવારના બાળકોએ ઘણીવાર ભૂખ્યા જ સૂવું પડે છે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel