ટેકાના ભાવે મગફળી વેચાણ માટે ખેડૂતોની સંખ્યા 133 ટકા વધી

ટેકાના ભાવે મગફળી વેચાણ માટે ખેડૂતોની સંખ્યા 133 ટકા વધી


ગાંધીનગર,તા.19 ઓકટોબર 2020,સોમવાર

કોરોનાકાળમાં શરૂ થયેલી ખરીફ સિઝનમાં ગાંધીનગર જિલ્લામાં ખેડૂતોએ પાક પેટર્ન બદલી હતી પોષણક્ષમ ભાવ મળી રહેવાને કારણે ગાંધીનગર જિલ્લાના ખેડૂતો મગફળીના પાક તરફ વળ્યા હતા અને ગત વર્ષ કરતા ડબલ એટલે કે સિઝન દરમિયાન કુલ ૧૩ હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે સરકારે તા. ૧લી ઓક્ટોબરથી શરૂ કરવામાં આવેલા ટેકાના ભાવે મગફળી વેચાણની નોંધણીમાં પણ તેની અસર જોવા મળી છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ૧૩૩ ટકા ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચાણ માટે વધ્યા છે. મંગળવાર નોંધણીનો છેલ્લો દિવસ છે ત્યારે તા.૨૧મીથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાશે.

કોરોના વચ્ચે અતિવૃષ્ટિના કારણે ચાલુ વર્ષે વાવેતર વિસ્તાર ઘટવાની સાથે પાકના ઉત્પાદન ઉપર પણ તેની અસર પડી છે ખેડૂતોને વાવેતરમાં બીયારણ તથા પાણી, વીજળી સહિતના અન્ય ખેતીના ખર્ચા જ નિકળી શકે તેમ નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત રૂપિયા ૧,૦૫૫ પ્રતિ મણ સરકાર ખેડૂતો પાસેથી ટેકાનાભાવે મગફળી ખરદશે.

આ માટે તા.૧ ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લાના કલોલ, દહેગામ, માણસા એપીએમસી ઉપરાંત ચિલાડા એપીએમસી ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ ખેડૂતોએ નિઃશુલ્ક ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે આવતીકાલે તા.૨૦મીએ ઓનલાઇન વેચાણની નોંધણી માટેનો છેલ્લો દિવસ છે તે પૂર્વે જ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે ગત વર્ષની સરખામણીએ  ખેડૂતોની સંખ્યામાં ૧૩૩ ટકાનો વધારો થયો છે.

આ અંગે ગાંધીનગર જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.પી.જાદવે જણાવ્યું હતું કે, ગત વર્ષે ૩,૭૭૮ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જ્યારે આ વખતે  અત્યાર સુધી ૫,૧૩૫ ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે, ગત વર્ષ કરતા ૧૩૩ ટકા ખેડૂતો આ વખતે વધ્યા છે ખેડૂતો વધવાના કારણો આપતા તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે ગાંધીનગર જિલ્લામાં સાડા છ હજાર હેક્ટર વિસ્તારમાં મગફળીનો પાક લેવામાં આવ્યો હતો જ્યારે ચાલુ વર્ષે તેનાથી ડબલ એટલે કે, ૧૩ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.

તો આ વખતે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ પર ખેડૂતોને વધુ વિશ્વાસ આવ્યો છે તેથી જ તેમણે સરકારી એજન્સીમાં પોતાની મગફળી ટેકાના ભાવે વેચવાનું વધુ પસંદ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, તા.૨૦મીએ ઓનલાઇન રજીસ્ટ્રેશન માટેનો છેલ્લો દિવસ છે જ્યારે તા.૨૧મીથી સમગ્ર રાજ્યની સાથે ગાંધીનગર જિલ્લાના ચાર સેન્ટરો પર પણ ટેકાનાભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ થશે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HlipGM

0 Response to "ટેકાના ભાવે મગફળી વેચાણ માટે ખેડૂતોની સંખ્યા 133 ટકા વધી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel